શ્રી અંબિકાનિકેતન મંદિર આજે એક બીજ માંથી વિશાળ વટવૃક્ષ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે, પરંતુ ભૂતકાળમાં નજર કરું છું તો સમજાય છે કે તાપી નદીના કેટલા નીર વહી ગયા. સને. 1971 તા. 21/05/1971 માં મારા લગ્ન શ્રી ભારતસિંહ ગેમલસિંહ મકવાણા સાથે થયા જેઓ પૂ.ભારતીમૈયાના પુત્ર છે. આ સમયે મંદિરની સ્થાપનાને બે જ વર્ષ થયા હતા અને મારુ ભારતીમૈયાના ઘરે પુત્રવધુના રૂપમાં આગમન થયું. મારુ પિયર સુરત નજીક આવેલ મગોબ ગામ અને મારા સાસરીયા સૌરાષ્ટ્રના, અલગ-અલગ માહોલ અને જુદા-જુદા રીતરિવાજો વચ્ચે દક્ષિણ અને પશ્ચિમનો સમન્વય, પરંતુ માં અષ્ટભુજાની કૃપા તથા પૂ. ભારતીમૈયાના આશિર્વાદથી નવા પરિવારમાં બહુ સરળતાથી ભળી જવામાં કોઈ તકલીફ ન પડી. ઘરમાં ભક્તિમય વાતાવરણ, સેવાકીય અને સાદગીપૂર્ણ સાસુ-સસરાના સાનિધ્યમાં સમય પસાર થતો ગયો. મંદિરની ખ્યાતિ દિનબદિન વધતી ગઈ અને સમાજસેવાની પ્રવુત્તિઓનો વ્યાપ પણ વધતો રહ્યો. અચાનક તા. 18/03/1991 ચૈત્ર સુદ ત્રીજના રોજ ભારતીમૈયાના આકસ્મિક દેહવિલયથી સંસ્થાની સંપૂર્ણ જવાબદારી અમારા શિરે આવી. શરુ-શરુ માં એ ચિંતા રહેતી કે આટલી મોટી જવાબદારી કઈ રીતે ઉપાડી શકીશું? પરંતુ અમારી સાથે પૂ.બા., બાપુજીના સંસ્કાર તથા માં અષ્ટભુજા અંબિકાના આશિર્વાદ હતા અને અમને આત્મવિશ્વાસ હતો કે જે જવાબદારી પૂ.બા. અમને સોંપી ગયા છે તે અમે સુપેરે પાર પાડીશું અને આજે આપણે જયારે સુવર્ણજયંતિ વર્ષ મહોત્સવની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે એ આત્મસંતોષ છે કે પૂ.બા. એ જે જનસેવાની જ્યોત પ્રગટાવી હતી તેમાં નવા નવા સેવા કાર્ય જેવા કે ભારતીમૈયા આઈ હોસ્પિટલ, ફિઝિયોથેરાપી કોલેજ, વૃધ્ધાશ્રમ, ભારતીમૈયા વિદ્યાસંકુલ, પ્રાણીકલ્યાણ ટ્રસ્ટ, ગૌશાળા, ભારતીમૈયા મેમોરિયલ ફોઉન્ડેશન,શ્રી ભરતસિંહ ગેમલસિંહ મકવાણા કોલેજ ઓફ નર્સિંગ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિની જ્યોત પ્રજ્વલિત રાખી, પૂ.બા એ કંડારેલી સેવાની આ કેડી પર આગળ વધતા પૂ.ભારતીમૈયાના જીવનમંત્રને સાર્થક કરવા "જનસેવા એ જ પ્રભુસેવા" મંત્રને આત્મસાત કરવાનો આજીવન પ્રયાસ રહેશે, સમાજમાંથી જે મળ્યું છે તેને સમાજના કલ્યાણના ઉપયોગમાં લઇ સમાજ તથા દેશ-વિદેશના દાતાશ્રીઓ અને માં ના ભક્તજનો નો હમેશા સહયોગ મળતો રહ્યો છે તેમની સદા ઋણી છું.